Saturday, January 12, 2008

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને પાંપણે મૂક્યા પહાડ

જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે

છાતીમાં પડી ગઈ તિરાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

છાતીમાં પડી ગઈ તિરાડ



ખંડેરમાં પડઘાતું મારું એકાંત ને

પડઘે થરથરતાં કાંટાળાં ઝાડ

વાત તારી માંડે જ્યાં મૂંગા પથ્થરો

તૂટતી જાય એકએક નાડ

આંખોમાં રોપ્યા તે લીલીડાં સપના

ને છાતીમાં પડી ગઈ તિરાડ



હૈયા સરખો ચાંપી દે મને

વરસાવી દે સઘળા વ્હાલ

કાળા વાદળની છાતી ચીરીને

પછી આંજી દે ઉજળો ઉઘાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને છાતીમાં પડી ગઈ તિરાડ


-બાબુ ઉફેઁ બીમલ દેસાઈ, "નારાજ".
(ગુજરાત પોલીસ દળ કર્મચારી).

Wednesday, January 09, 2008

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?


જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?


તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?


પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?


હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?


વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)


- વિવેક મનહર ટેલર

ગઝલ

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.


-ગની દહીંવાલા

ગઝલ

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા